Get Adobe Flash player
 
 
 
 
 
 
 
Home  
 
 
 
 
 
 
 
 

       સર આઈઝેક ન્યૂટન – વિજ્ઞાન ક્ષેત્રે મહાનતાનાં શ્રેષ્ઠ શિખરો સર કરી ગયા. જેઓ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધનાર અને જગતને ભેટ આપનાર મહાન વૈજ્ઞાનિક બની ગયા. મહાન વ્યક્તિનાં જીવનમાંથી અનેક ગુણો શીખવા જેવા હોય છે. જે વ્યક્તિની મહાનતાનાં દર્શન કરાવતા હોય. એવો જ એક ગુણ ન્યૂટનના જીવનમાંથી જોઈએ, સમજીએ અને વર્તનમાં ઉતારવા પ્રયત્ન કરીએ.

       ન્યૂટન શાળામાં ભણતા હતા ત્યારની આ વાત છે. પોતે ભણવામાં સામાન્ય હતા. તેમનાં વર્ગખંડમાં તેમના કરતાં અભ્યાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ હતા. એક દિવસ બન્યું એવું કે ન્યૂટનને તેમના જ વર્ગખંડના એક હોંશિયાર વિદ્યાર્થી સાથે કોઈ બાબતે તકરાર થઈ. તે વિદ્યાર્થી ન્યૂટન કરતાં શારીરિક રીતે અશક્ત હતો. વાદવિવાદ ઉગ્રતામાં પરિણમી ને અંતે ન્યૂટને તે વિદ્યાર્થીને એક જોરદાર તમાચો મારી દીધો. તે વિદ્યાર્થી અશક્ત હોવાથી કંઈ બોલી શક્યો નહિ ને તેણે ચૂપચાપ માર સહન કરી લીધો. આ એક ઘટના તો પૂર્ણ થઈ. શાળાથી ન્યૂટન ઘેર આવ્યા. પણ આજે તેઓ કોઈક ઊંડા વિચારોમાં ડૂબેલા હતા. સાંજ પડી નિત્યક્રમ મુજબ ન્યૂટન આજે પણ દરિયાકિનારે આવ્યા તો ખરા. પરંતુ તેમને આજે ચેન નથી પડતું, મન વિચારોનાં ચગડોળે ચડ્યું છે.

        પેલા વિદ્યાર્થીને તમાચો માર્યો હતો તેનું અંતરે દુઃખ થયા કરે છે. તેમને કરેલા કૃત્ય બદલ પસ્તાવો થાય છે. તેઓ વિચાર છે: “શું ખરેખર મારા કરતાં બળહીનને મેં માર્યો એ મારી સાચી મહાનતા છે ? શારીરિક બળની દૃષ્ટિએ કદાચ એ મારા કરતા પાછળ છે. પરંતુ અભ્યાસમાં તો એ મારા કરતા કેટલો બધો હોંશિયાર છે ? ખરેખર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.” આમ વિચારતા ન્યૂટન એ વિદ્યાર્થીને યાદ કરી મનોમન તેની સાચા દિલથી માફી માંગી લે છે, સાથે સાથે પ્રભુને પણ બે હાથ જોડી પ્રાર્થે છે “હે પ્રભો ! મારાથી આજે એ વિદ્યાર્થી સાથે અયોગ્ય વર્તાવ થઈ ગયો એ બદલ મને માફ કરજો.”

       પ્રાર્થના બાદ ન્યૂટન મનોમન દૃઢ સંકલ્પ કરે છે: “હવેથી હું એ વિદ્યાર્થીનો ગુણ ગ્રહણ કરીશ ને અભ્યાસમાં એના કરતા પણ હોંશિયાર થઈશ જ. એના કરતા પણ સારા માર્કસ લાવીશ જ. આજ મારા જીવનની સાચી મહાનતા ગણાશે.” અને સાચી મહાનતા પામવાના ઉચ્ચ આદર્શ સાથે ન્યૂટન અથાગ પરિશ્રમ કરવાં મંડી પડ્યા. પોતાના ધ્યેયને હાંસલ કરવા માટે પોતાના જીવનમાં નડતરરૂપ બનતાં કુલક્ષણો જેવા કે આળસ, પ્રમાદ, ગાફલાઈ, બેદરકારી, અનિયમિતતાનો સદંતર ત્યાગ કર્યો. કહેવાની જરૂર નહીં પડે કે પરિણામ શું આવ્યું ? ન્યૂટન તે હોંશિયાર વિદ્યાર્થી કરતાં પણ સારા માર્કસથી પાસ થયા. સાથે સાથે તેઓ કદી કોઈની સાથે ઉગ્ર બન્યા નથી. સૌની સાથે ખૂબ પ્રેમથી હળીમળીને રહેવા લાગ્યા. આનું નામ સાચી મહાનતા.

બોધ :-

૧)  સાચી મહાનતા તેને જ કહેવાય કે આપણાથી ચડિયાતા હોય તેના ગુણોને જોઈ તેના કરતાં વધુ આદર્શ ગુણો ગ્રહણ કરી, જીવનમાં      પ્રગતિના પંથે આગળ વધે.
ર)  કોઈની સાથે અયોગ્ય વર્તાવ કે ઝઘડો કરવાથી પસ્તાવા સિવાય કાંઈ જ નથી હોતું. આથી સૌની સાથે પ્રેમથી, હળીમળીને રહેવું      જોઈએ.
૩)  આપણાથી કોઈનું અંતર દુભાઈ જાય તો તેની સાચા દિલથી માફી માંગી લેવી જોઈએ સાથે સાથે મહારાજને પણ પ્રાર્થના કરવી      જોઈએ.